Recents in Beach

માહિમની ખાડી-મધુમંગેશ કર્ણિક કૃતિ પરિચય|Mahimni Khadi-Madhumangesh Karnik in Gujarati

 

પુસ્તક પરિચય:- માહિમની ખાડી

 

  (લેખક-મધુમંગેશ કર્ણિક, અનુવાદક- દીપક મહેતા)

પ્રકાશક- નેશનલ ટ્રસ્ટ બુક, ઇન્ડિયા, નવી દિલ્હી


 

માહિમની ખાડી


  સાહિત્ય અને સમાજ બંને પરસ્પરના પૂરક છે. જ્યાં જ્યાં માનવસમાજ અને સંસ્કૃતિ વિકસ્યાં છે ત્યાં ત્યાં સમકાલીન સમાજજીવનનું પ્રતિબિંબ ઝીલતું સાહિત્યપણ રચાયું છે, તો કેટલીકવાર સામાજિક પરિબળો સાહિત્ય પ્રભાવ પાડતાં પણ જોવા મળે છે. સર્જક પોતાની આસપાસના સમાજમાં બનતાં બનાવોથી પ્રભાવિત થયાં વગર પણ રહેતો નથી. વર્તમાન સમયમાં ગામડામાંથી શહેર તરફનું સતત સ્થળાંતર થઈ રહ્યું છે. એના પરિણામે શહેરો અનેક પ્રકારની સમસ્યાઓથી ઉભરાય રહ્યાં છે. આ સમસ્યાઓ આજના સર્જકને પ્રભાવિત કર્યા વગર રહી નથી. શહેરની સમસ્યાઓમાં ખાસ રહેઠાણની સમસ્યા અને એના પરિણામે શહેરમાં ઉદ્ભવતી ઝુંપડપટ્ટીઓ અને એમાં વસતાં જનસમૂદાયનું ચિત્ર એક યા બીજા સ્વરૂપે આપણી સામે આવતું રહ્યું છે.

 

  મુંબઈએ માત્ર મહારાષ્ટ્રનું જ નહિ પણ ભારતની આર્થિક રાજધાની ગણાય છે. આ મુંબઈની ઝુંપડપટ્ટીઓ અને એનું વાસ્તવિક ચિત્ર આપણી સામે હિન્દી ફિલ્મો દ્વારા મુકાતું રહ્યું છે. મરાઠી સાહિત્યમાં પણ મુંબઈની ઝુંપડપટીઓ પર લખાતું રહ્યું છે.  ૧૯૬૯માં મધુ મંગેશ કર્ણિકે “માહિમચી ખાડી” નવલકથા લખી. ‘માહિમચી ખાડી મુંબઈની એક ઝુંપડપટ્ટીનું આલેખન કરે છે. આવી અસંખ્ય ઝુંપડપટ્ટીઓ મુંબઈમાં તેમ જ મુંબઈ જેવા બીજા મહાનગરોમાં જોવા મળે છે.

 

  ‘માહિમચી ખાડી મુંબઈનો પ્રારંભ લેખકે દાદુમિયાનો પરિવાર ઘોડબંદર રોડ પર માહિમની ખાડી પર પથરાયેલ ઝુંપડપટ્ટીમાં રહેવા આવે છે, ત્યારથી કરે છે અને અંત દોઢ વર્ષ પછી જ્યારે આ ઝુંપડીને આગ લગાડીને હટાવવામાં આવે છે ત્યારે કરે છે. આટલા સમયની અંદર લેખકે પોતાની વર્ણનાત્મક શૈલીમાં આપણી સમક્ષ ઝુંપડપટ્ટીનું ભયાનક ચિત્ર ખડું કરી દીધું છે.

 

  ઝુંપડપટ્ટીમાં કશું જ સારું કહી શકાય તેવું નથી, નીતિ મર્યાદા જેવા નૈતિક મૂલ્યોનું કોઈ સ્થાન નથી. આ વાસ્તવિકતાને રજૂ કરવા માટે લેખકે દાદુમિયા અને શકીના, કિશન અને ગંગા, જયા અને ભીખો, રોશન અને શામુ પેન્ટર, કાશીરામ અને યેશું, સુરજકોળી અને વાયોલીનવાળો જેવા પાત્રોનું સર્જન કર્યું છે.

 

  ખાડીના વાતાવરણની અસર જ એવી છે કે અહિયાં કશું સારું ટકતું નથી. ખાડીના વાતાવરણ સામે નૈતિકમૂલ્યો બળીને ખાખ થઈ જાય છે. રોશન જ્યારે ગામડેથી દાદુમિયાને ત્યાં આવે છે ત્યારે કમરેથી ઘાઘરો પડી જવાથી શરમની મારી આત્મહત્યા કરવા માટે ખાડીમાં કૂદકો મારે છે. અંતે આજ રોશન તમામ લાજ શરમ મૂકીને ખુલ્લે આમ વ્યભિચાર કરવા માંડે છે.

 

  ખાડીમાં શરીરએ જરૂરિયાત પૂરી કરવાનું સાધન બને છે. જ્યાં પોતાની જરૂરિયાત સંતોષવા માટે ધંધો કરે છે. ધંધાનું બહાનું પણ આજ રીતે આગળ ધરે છે. ખાવાનું કૂતરાબિલાડાની જેમ ને જીવવાનુંયે તેમની જેમ જ..... શું કામ ? રહેવાનું ઝુંપડપટ્ટીમાં, ખાવાનું હેઠું-જુઠું, કપડાં ભિખારી જેવા પેરવાના અને મોઢે આબરુની વાતો કરવી, શા માટે ? આજ સુધી મેં ખૂબ જોઈ લીધું, મારાથી નહીં રહેવાય આ રીતે, તારી આબરૂ રાખ તારી પાસે..... મને તો મારી પોતાની હકની ઓરડી જોઈએ..... ઘરમાં પાણીનો નળ જોઈએ..... સૂવા માટે મજાની પથારી જોઈએ..... ખાવા માટે મટન રોટી જોઈએ..... અને પહેરવા માટે આવા ચમકતા નવા નકોર કપડાં જોઈએ..... અને ક્યારેક ક્યારેક પિક્ચર જોવાં.... (પેજ-૫૯)

 

  ખાડીના વાતાવરણમાં લોહી કે પ્રેમનાં કોઈ સંબંધો ટકતા નથી. જયાના ધંધા માટે દલાલી ખૂદ એનો ભાઈ ભીખો કરે અને અંતે પોતાના જાતિયરોગમાંથી મુક્તિ મેળવવા માટે પોતાની જ આંઠ વર્ષની બેન રતનને પકડે છે ત્યારે પરાકાષ્ઠા આવે છે, “સાલું આવું તો સપનામાં પણ જોયું ન હોતું..... આ તો કળિયુગનો મહિમા ભાઈ ઉઠીને પોતાની સગી બહેનને...... (પેજ-૧૬૮)

 

 પેટનો ખાડો પૂરવા માટે અહીના લોકો બધુ જ કરી છૂટે. બાળકના જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યા પછી ધાવણથી ઉભરાતી માંની છાતીમાંથી ધાવણ નીચોવીને બીજા બાળકને પીવડાવવું એ કલ્પના જ ભયાનક છે, “જોઈ શું રહી છે વાંઝણી ! આ અમરત છે છતાંય છોકરાને ભૂખે શું કામ મારે છે. બાઈ ! ચાલ કાઢ વાટકીમાં દૂધ, ને પિવડાવ વાસુને. બીજું કાંઈ ખાવાનું તો ઘરમાં છે નહીં છોકરાં માટે.

 

  યેશુ શૂન્ય નજરે સાસુના ચહેરા તરફ જોઈ રહી, તેને જાણે કાંઈ સમજાયું જ નહીં, એટલે ડોસી આગળ આવી વહુની ચોળીની ગાંઠ એક જ આંચકે ખોલીને તેણે તેના ફાટફાટ થતાં સ્તનો દબાવવાની શરૂઆત કરી. દુધની સફેદ ધાર વહેવા લાગી..... એલ્યુમિનીયમની વાટકી તો જોતજોતામાં ભરાઈ ગઈ.” (પેજ-૨૪) આ દ્રશ્યની કલ્પના જ આપણા ભાવ જગતને એક આંચકો આપી જાય છે.

 

  ભૂખમરો, ગરીબી, દાદાગિરી, દારુ, દેહવિક્રય, સજાતિય સંબંધો જેવા અનેક દુષણોથી આ ખાડી ખદબદે છે એટલે જ તો સુરજ કોળી કહે છે, “આ સાલી ખાડી જ આખ્ખી બેઈમાન છે.... અહીંના માણસો પાણી પીએ છે તે ચોરીનું.... પેટ માટે ધંધો કરે તે ચોરીનો.....  જે મકાનમાં રહે છે તે મકાન ચોરીનું..... કશું જ પોતાના હકનું નથી અહીના માણસ પાસે..... પછી ઈમાનદાર લોહી પેદા થાય ક્યાંથી.” આવું છે આ ઝુંપડપટ્ટીનું ઉગ્ર, દારૂણ, ખરડાયેલું અને કરુણ જગત કર્ણિકે પ્રતીતિકર અને સશક્ત રીતે આપણી સમક્ષ ચિત્ર ખડું કર્યું છે.

 

  વ્યક્તિ જેવા વાતાવરણમાં ઉછરે છે એવું એનું ઘડતર થાય છે. આવી ઝુંપડપટ્ટીમાં ઉછરતું બાળક પણ પોતાની આસપાસની સૃષ્ટિમાં જ ભળી જાય છે. મુંબઈની ઝુંપડપટ્ટીના વાતાવરણને લઈને બનેલ ફિલ્મો ચાંદની બાર, સ્લમ ડોગ મીલીનીયરમાં પણ આજ વસ્તુ તરફ નિર્દેશ કર્યો છે. ભારતની આઝાદ થઈને કેટલાં વર્ષો પૂર્ણ થવાં જાય છે ત્યારે એક નજર જ્યારે આવા સમાજ તરફ નાખીએ ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય આપણે કેટલી પ્રગતિ કરી ?

 

  ‘માહિમચી ખાડીમાં બધાં સુંદર સ્વપ્નો નાશ પામે છે. બધાં જ પવિત્ર મૂલ્યો અંહી ખાખ થઈ જાય છે. ચાર જણાની વચમાં કમરેથી ઘાઘરો સરી પડતાં શરમની મારી ખાડીમાં કૂદી પડનારી રોશન આગળ જતાં ખુલ્લમ ખુલ્લો વ્યભિચાર કરવા માંડે છે. શ્યામુ પેન્ટર સાથે ગૃહિણી જેવો સુખી સંસાર માંડીને રહેવાનું સ્વપ્ન જોનારી જયાને તેનો વર અને ભાઈ જ વેશ્યા-વ્યવસાયમાં ખેંચી જાય છે. છોકરાં આજે નહીં તો કાલે પોતાને સુખના દહાડા બતાવશે એવી આશા પર દિવસો વિતાવતી ગંગાને માટે ગુપ્ત રોગથી પીડાતા છોકરાની સારવાર કરવાનું તથા છોકરી વેશ્યા બની છે એ જોવાનું નસીબમાં લખાયું છે. નિશાળમાં જઈને ચાર ચોપડી ભણવાની ઈચ્છા રાખનારા સાયબુ અને અબ્બાસ જેવાં છોકરાનું તે સ્વપ્ન પણ સિદ્ધ થઈ શકતું નથી. સારા નરવા તરુણ છોકરાઓ અંહી ગુંડાગીરી અને મવાલીપણા તરફ વાલે છે, તો દેખાવડી તરુણ છોકરીઓએ પોતાના દેહને પેટ ભરવા માટેનું એક સાધન બનાવવો પડે છે. સૌનાં જીવન આડેઅવળે માર્ગે વહી જઈને છેવટે ક્યાંક લુપ્ત થઈ જાય છે. સુસંસ્કૃત જગતની બધી નીતિરીતી, બધી મૂલ્યપરંપરા અંહી નિરર્થક બની રહે છે.

 

  ‘માહીમચી ખાડી મધુ મંગેશ કર્ણિકનાં લેખનમાં તો મહત્વનું સ્થાન ધરાવે છે જ, પણ મરાઠી નવલકથાના વિકાસક્રમમાં પણ આ કલાકૃતિને પોતાનું આગવું વૈશિષ્ટયપૂર્ણ સ્થાન છે.

 

 

@@@@@  @@@@  @@@@  @@@  @@@@@@@@@  @@@@@@@  @@@@@@

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ