Recents in Beach

પ્રેમાનંદનું જીવન અને કવન|Premanandnu Jivan Kavan

 


 

  મધ્યકાલીન સાહિત્યને અનેક કવિઓએ પોતાના સર્જનથી સમૃદ્ધ કર્યું છે. દરેક કવિની પોતાની આગવી લાક્ષણીકતા અને સિદ્ધી હોય છે. નરસિંહ-મીરાં પદોમાં, અખો જ્ઞાનકવિતામાં, શામળ પદ્યવાર્તામાં, દયારામ ગરબીમાં પોતાની પ્રતિભાથી મધ્યકાળના મોટા કવિઓ ગણાય છે તેમ પ્રેમાનંદ સમર્થ આખ્યાનકાર તરીકે મોટા ગજાનો કવિ ગણાય છે.


 

  અર્વાચીન યુગમાં જેમ કવિઓનાં જન્મ-મરણ અને કવિ વિશે ચોક્કસ માહિતી મળે છે તેમ મધ્યકાળના કવિઓ વિશે મળતી નથી. ત્યારે આજના જેવી એતિહાસિક સભાનતા કવિઓમાં ન હતી. એટલે તેમને વિશે જે કઈ માહિતી મળે છે તે તેમની કૃતિને અંતે તેમણે કૃતિના રચનાકાળ અને પોતાને વિશે જે થોડી પરીચયાત્મક માહિતી આપેલી તેને આધારે ઉપલબ્ધ થાય છે. તેમના જીવન અને કવનકાળ વિશે તે માહિતીને અનુમાન કરવાં પડે છે. ઉપરાંત કેટલાક કવિઓ વિશે જે કિવદંતી પરંપરાથી ચાલી આવતી હોય છે તે કેવળ દંતકથાઓ તરીકે જોવી-સમજવી પડે છે. પ્રેમાનંદના મનાતા પહેલા આખ્યાન ‘લક્ષ્મણાહરણ’નું રચનાવર્ષ ઈ. ૧૬૬૪ છે. તે પછીનું ‘ઓખાહરણ’ ઈ.૧૬૬૭માં રચાયેલું મનાય છે. પરંતુ આ બંને કૃતિઓનું કર્તુત્વ સંદિગ્ધ છે અને તેની વિશ્વાસપાત્ર હસ્તપ્રતો મળતી નથી, એટલે પ્રેમાનંદના સમયનિર્ણય માટે તે પ્રમાણભૂત ગણી શકાય તેમ નથી. પ્રેમાનંદના જૂનામાં જૂની રચનાસાલવાળાં આખ્યાન ‘ચંદ્રહાસઆખ્યાન’ અને ‘અભિમન્યુઆખ્યાન’ ઈ.૧૬૭૧માં લખાયેલાં છે. તેની છેલ્લી લખાયેલી કૃતિઓ ‘રણયજ્ઞ’ ઈ.૧૬૮૪માં અને ‘નળાખ્યાન’ ઈ.૧૬૮૬માં રચાયેલી છે. તે પછી અધૂરો લખાયેલો ‘દશમસ્કંધ’ છે. આ વિગતોને આધારે પ્રેમાનંદનો જીવનકાળ નક્કી કરવો પડે. પ્રેમાનંદના કવનકાળની આરંભની શ્રદ્ધેય સાલ ઈ.૧૬૭૧ છે. આ વર્ષમાં લખાયેલી તેની ઉપર જણાવી તે બંને કૃતિઓ તેણે વીસ-બાવીસ વર્ષની વયે રચી હોય તેવું સલામત અનુમાન કરીએ તો અનુચિત ન ગણાય. આ હિસાબે તેનો જન્મ ઈ.૧૬૫૧ની આસપાસનો (એટલે કે સત્તરમી સદીના મધ્યભાગમાં) સમય ગણાય અને રચનાસાલ આપતી છેલ્લી કૃતિ ‘નળાખ્યાન’ ઈ.૧૬૮૬માં રચાયેલી છે તે જોતાં, અને તે પછી અધૂરા લખાયેલા ‘દશમસ્કંધ’ને ગણતરીમાં લેતાં, તથા ઈ.૧૭૧૪ને તેના કવનકાળનું અને સંભવત: જીવનનું છેલ્લું વર્ષ ગણવામાં વધુમાં વધુ ચોકસાઈ જળવાય છે. આમ સલામત રીતે પ્રેમાનંદનો સર્વમાન્ય બને તેવો જીવનકાળ મોટી ગણતરીએ ૧૭માં શતકના ઉત્તરાર્ધથી અઢારમાં શતકના દોઢેક દાયકાનો ગણાય. આ રીતે પ્રેમાનંદનું આયુષ્ય લગભગ ૭૫-૮૦ વર્ષનું અને તેનો કવનકાળ લગભગ ૪૦ વર્ષ જેટલો ઠીક ઠીક દીર્ઘ ગણાય.



 

પ્રેમાનંદનો આ સમય ગુજરાતનો શાંતિ, સ્વસ્થતા અને સમૃદ્ધીનો કાળ હતો. મોગલ શાસનની ઉદાર રાજનીતિ અને સ્થિર, સલામત રાજ્યવહીવટને કારણે, પરધર્મી શાસન છતાં, અન્ય કાળે ક્ષુબ્ધ અને ભયત્રસ્ત બનેલી પ્રજાએ આ યુગમાં સલામતી, શાંતિ અને હળવાશનો શ્વાસ લીધો હતો. નિર્ભયતાનું વાતાવરણ મોગલશાસન દરમિયાન ગુજરાતમાં પ્રસર્યું હતું. આબાદી વધી હતી. ચોતરફ વિકાસ અને ઉન્નતી થાય તેવું વાતાવરણ હતું. એટલે ૧૭મી સદીની સાહિત્યસમૃદ્ધી ઇયત્તા અને ગુણવત્તામાં સર્વોત્કૃષ્ટ બની છે. તે પૂર્વે નરસિંહ-મીરાંને બાદ કરતાં આટલી સાહિત્યસમૃદ્ધી જોવા મળતી નથી. ૧૭મી સદી એ રીતે મધ્યકાલીન સાહિત્યનો સુવર્ણકાળ ગણી શકાય. આ ગાળામાં તેથી તો અખો, પ્રેમાનંદ અને શામળ જેવા ત્રણ-ત્રણ શક્તિવંત કવિઓના સાહિત્યસર્જનથી આ સદી સમૃદ્ધ થયેલી છે.


 

જીવન:-

 

  પ્રેમાનંદનું ખુલ્લા માથા અને ચોટલીવાળું, કપાળમાં ત્રિપુંડ અને માણ વગાડતો હોય તેવું, ગુજરાતના કલાગુરુ સ્વ. રવિશંકર રાવળે કલ્પનાથી દોરેલું ચિત્ર તમે જોયું હશે. આ ચિત્રની કલ્પના પાછળ તેના જીવનની આસપાસ ગૂંથાયેલી લોકવાયકાઓ કામ કરી ગઈ જણાય છે. આ લોકવાયકાઓને કશો આધાર નથી. તે શ્રદ્વેય ગણી શકાય નહીં. પરંતુ તેની પ્રતિભાનું ગોરવ વધારવા માટે તે વહેતી થઇ હશે તેમ કહી શકાય. અકાળ વયે માતાપિતાનું અવસાન થતાં માસીને ત્યાં બાળક પ્રેમાનંદ ઊછર્યો હતો એમ જણાય છે. તે ખાસ ઝાઝું ભણ્યો ન હતો પણ કથાકારો, ભજનિકો, આખ્યાનકારોની કથાઓ સાંભળી તે બહુશ્રુત બન્યો હશે. કહે છે કે પંદરેક વર્ષની વયે રામચરણ નામના કોઈ સિદ્ધ સાધુની સેવાને પ્રતાપે, તે કવિત્વ પામેલો. સાધુએ તેને જવાની વહેલી સવારે બોલાવેલો, પણ તે મોડો પહોચ્યો એટલે સાધુએ કહ્યું, તું વહેલો આવ્યો હોત તો સંસ્કૃતનો કવિ થાત, પણ હવે તું તારી ભાષાનો (ગુજરાતીનો) કવિ થશે. ગુજરાતી ભાષાનું ભાગ્ય ઊઘડી ગયું એમ કહીએ. વળી આખ્યાનકાર તે તેનો પરંપરાગત કોટુંબિક વ્યવસાય હતો. એવી વાયકા છે કે ત્યારે ‘શું શાં પૈસા ચાર’ ગણાતી ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન કરું ત્યાં સુધી પાઘડી ન પહેરવાની તેણે પ્રતિજ્ઞા લીધેલી. તેને વિશાળ શિષ્યમંડળ હતું અને દરેકની પાસે તે જુદા જુદા ગ્રંથો રચાવતો. તે નંદારો ચોવીસ બ્રાહ્મણ જ્ઞાતિનો હતો. તેના પિતાનું નામ કૃષ્ણરામ હતું અને તે કથાકાર હતા. તેને વલ્લભ નામે પુત્ર હતો અને તેણે અધુરો રહેલો ‘દશમસ્કંદ’ પૂરો કર્યો હતો. તે ગુજરાતના વડોદરાનો વતની હતો. કથા કરવાનો સંસ્કારવારસો તેને કુટુંબમાંથી પ્રાપ્ત થયેલો. તેની કૃતિઓ જોતાં તેણે ભાગવત, મહાભારત, રામાયણ અને પુરોગામી આખ્યાનકારોના આખ્યાનોનો ઘણો સારો અભ્યાસ કર્યો હશે એમ જરૂર અને સાધાર કહી શકાય. આખ્યાન રચી કથા કરવા તે વડોદરા ઉપરાંત સુરત, નંદરબાર જેવાં સ્થળોએ ગયેલો અને વ્યાપક લોકચાહના અને આદર મેળવેલાં. નંદરબારમાં તો તેને આશ્રય આપનાર શંકરદાસ દેસાઈ નામે સજ્જન હતા. આ વાતનું સમર્થન પણ મળે છે. પ્રેમાનંદે જેમ વ્યાપક લોકાદર પ્રાપ્ત કર્યો હતો તેમ તે સારું એવું ધન પણ કમાયેલો એમ કહેવાય છે.


 

કવન:-

પ્રેમાનંદનું કાવ્યસર્જન લગભગ ચાળીસસેક વર્ષના સમયપટ પર વિસ્તરેલું છે. તેણે લગભગ પચાસેક જેટલી કૃતિઓ લખ્યાનું કહેવાય છે, પણ તેમાંની કેટલીકનું કર્તુત્વ સંદિગ્ધ છે તો કેટલીક તેની લખેલી જ નથી. ગમે તે હો, પરંતુ નિ:શંકપણે તેની જ રચેલી કૃતિઓની સંખ્યા પણ કઈ ઓછી નથી. તેણે ‘ભ્રમરપચીશી’, ‘દાણલીલા’ જેવા કૃષ્ણભક્તિનાં કાવ્યો, ‘દ્વાદશમાસ’ જેવા વિરહના મહિના અને ‘વિવેક વણઝારો’ જેવું જ્ઞાનબોધ આપતું રૂપકકાવ્ય લખ્યાં છે; પરંતુ પ્રેમાનંદનું યશસ્વી સર્જન તો તેણે રચેલાં આખ્યાનો છે. આ આખ્યાનોમાં કેટલાંક તેણે મહાભારત, ભાગવત, રામાયણ, માર્કણ્ડેય પુરાણમાંથી કથાવસ્તુ લઈને તો કેટલાંક નરસિંહ મહેતાના લોકપ્રચલિત જીવનપ્રસંગોને આધારે રચેલા છે. મહાભારતને આધારે લખેલાં આખ્યાનોમાં ‘ચંદ્રહાસ આખ્યાન’, ‘અભિમન્યુ આખ્યાન’, ‘સુધન્વા આખ્યાન’ અને ‘નળાખ્યાન’ છે. રામાયણને આધારે લખેલું એકમાત્ર આખ્યાન ‘રણયજ્ઞ’ છે. ભાગવતને આધારે ‘સુદામાચરિત્ર’, ‘ઓખાહરણ’, ‘રુક્મિણીહરણ’ અને ‘દશમસ્કંધ’ જેવા આખ્યાનો રચ્યાં છે. ‘દશમસ્કંધ’ તો ભાગવતના ‘દશમસ્કંધ’નાં લગભગ ભાવાનુવાદ જેવી રચના છે, જેમાં તે મૂળને ઘણો વફાદાર રહ્યો છે અને છતાં પ્રેમાનંદની પ્રતિભાના તેજસ્વી અનેક પ્રકારના ઉન્મેષો તેમાં જોવા મળે છે. નસિંહ મહેતાના જીવનપ્રસંગોને આધારે પ્રેમાનંદે ‘કુંવરબાઈનું મામેરું’ જેવી સમૃદ્ધ આખ્યાનકૃતિ રચી. ‘શ્રાદ્ધ’, ‘શામળશાનો વિવાહ’ અને ‘હુંડી’ એમ ચાર આખ્યાનો રચ્યાં છે. પ્રેમાનંદના સમગ્ર સર્જનમાં તેનાં ઉત્તમોત્તમ આખ્યાનો ‘મામેરું’, ‘નળાખ્યાન’, ‘સુદામાચરિત્ર’, ‘દશમસ્કંધ’ અને ‘રણયજ્ઞ’ છે. પ્રેમાનંદનાં આખ્યાનકારપણાની અને કવિત્વની એમ ઉભય શક્તિઓની તેજસ્વિતાથી ઝળકતા, માત્ર તેનાં જ નહીં, સમગ્ર મધ્યકાલીન કવિતાના ઝળકતા આખ્યાનો છે. પ્રેમાનંદ એક એવો પ્રતિભાસંપન્ન સર્જકકવિ છે કે, તેણે પોતાના પુરોગામી આખ્યાનકારોનાં આખ્યાનમાંથી ઘણું લીધું છે, પરંતુ તેને તેણે પોતાના સર્જકસ્પર્શથી એવું રસાત્મક બનાવી અભિવ્યક્ત કર્યું છે કે ભાગ્યે જ કોઈને લાગે કે તેણે તે પુરોગામીઓમાંથી લીધું છે. પ્રેમાનંદ એક સમર્થ આખ્યાનકાર જ નહીં પણ કથનકાર, રસદ્રષ્ટા અને શેલીકાર કવિ છે.


 

  આપણે પ્રેમાનંદના કવનની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ કે જેને લીધે તે મધ્યકાળનો કવિશિરોમણી ગણાયો છે તે સંક્ષેપથી અહીં જોઈ લેવી ઉચિત ગણાશે.


 

  ઉત્તમ આખ્યાનકાર થવા માટે કવિ પાસે આકર્ષક કથનકલા, કથાસંકલના (કથાગૂંથણી), પાત્રચિત્રણ, તાદ્રશ અને રસાત્મક વર્ણનો, રસનિરૂપણ, અને સઘળાનું રાસાયણિક રીતે થયેલું કવિત્વ (-સર્જકતા-) અનિવાર્ય છે.

 


   કથા કહેવામાં આવતી એટલે તે માંડીને કહેવી પડે તે સ્વાભાવિક છે. આમ છતાં કથા આકર્ષક રીતે કહેવાય તો જ શ્રોતાઓને તે સાંભળવામાં રસ પડે. તેનો આધાર કથનશેલી છે. એકનો એક પ્રસંગ સીધેસીધો કહેવાથી તે રસપ્રદ ન બને. ભાલણ અને કેટલાક પુરોગામી આખ્યાનકારો બહુધા મૂળ કથાને વફાદાર રહી કથન કરતા હોય છે, જ્યારે પ્રેમાનંદ કથાપ્રસંગને પારખી તેમાંની શક્યતાઓ મુજબ તે કથાપ્રસંગને સૂઝપૂર્વક મલાવી મલાવીને, ખીલવીને કહેતો હોય છે, જેથી શ્રોતાઓ તે રસપૂર્વક માણી શકતા હોય છે.

 


 બીજું મહત્વનું લક્ષણ કથાસંકલના છે. કથા સીધેસીધી કહેવાને બદલે પ્રેમાનંદ ઘણી વાર શ્રોતાઓની જિજ્ઞાસા ઉત્તેજિત થાય તે રીતે કથાપ્રસંગોના ક્રમમાં થોડા ફેરફાર પણ કરે છે અને છતાં બધા પ્રસંગોનું શ્રોતાઓના મનમાં યથોચિત સંકલન થતું જાય તેવી કલા તે દાખવે છે. કથા આખરે તો કોઈ ને કોઈ પાત્ર-પાત્રોને આધારે વિકસતી હોય છે. એટલે પાત્રો નિર્જીવ પુતળા જેવાં ન રહે અને સજીવ, સાચકલા કરવા પ્રેમાનંદ તેમને પ્રત્યક્ષ વ્યવહાર- વર્તન કરતાં, બોલાતાં-ચાલતાં, હ્રદયનાં ભાવ-સંવેદનને વ્યક્ત કરતાં, સંવાદ કરતાં કે વિલાપ કરતાં બતાવે છે. પ્રેમાનંદની આ પાત્રચિત્રણકલા મધ્યકાળમાં અદ્વિતીય ગણાય તેવી છે. વળી આખ્યાનમાં જે કથાપ્રસંગો બને છે તે સ્થળ-કાળનો સંદર્ભ હોય છે. પ્રસંગ જે સ્થળે બને તેનાં તાદ્રશ વર્ણન પ્રેમાનંદ પુરા પરિવેશ સાથે કરે છે. ‘સુદામાચરિત્ર’, ‘નળાખ્યાન’, ‘મામેરું’, ‘રણયજ્ઞ’ વગેરે આખ્યાનોમાં આનાં ઘણાં દ્રષ્ટાંત મળે છે. સુદામાની ઝૂંપડી હોય, દ્વારિકાના ચોરા- ચોટા હોય, શ્રીકૃષ્ણનો મહેલ હોય, ‘નળાખ્યાન’માં વનવર્ણન કે દમયંતીનો મહેલ કે તેનો બાગ હોય, ‘મામેરું’માં નાત એકઠી મળી હોય તે, નરસિંહનો ઉતારો હોય, ‘રણયજ્ઞ’માં સાગર, અશોકવાટિકા, લંકા વગેરે સ્થળો હોય આ બધાં સ્થળોના વર્ણન હુબહુ બન્યાં છે. સૌથી મહત્ત્વ એક કાવ્યકૃતિ લેખે આખ્યાનમાં રસનિરૂપણ છે. રસને સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કાવ્યનો આત્મા કહ્યો છે. તે કૃતિને સ-રસ કરે છે, પરંતુ ઉત્તમ પ્રતિભા વિના આ શક્ય ન બને. પ્રેમાનંદ મધ્યકાળનો રસસિદ્ધ કવિ છે તે સર્વસ્વીકૃત વાત છે. તે અંગે નવલરામનો સમુચિત અને સર્વગ્રાહી અભિપ્રાય ટાંકવા જેવો છે.



 

  નવલરામ લખે છે: ‘રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ એના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે, અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઇ જઈને બેસાડે છે. એની વધારે મોટી ખૂબી એ છે કે એને એક રસમાંથી બીજા રસમાં છટકી જતાં વાર લાગતી નથી, અને તે એવી સ્વાભાવિક રીતે કરે છે કે લેશમાત્ર પણ રસભંગ થતો નથી.’ એકમાંથી બીજા રસમાં આપણે ક્યારે પહોંચી ગયા તેની આપણને ખબર પણ પડતી નથી.


FAQ

Q. પ્રેમાનંદનું વતન કયું છે?

Q. પ્રેમાનંદનાં માતા-પિતાનું નામ શું છે?



સંદર્ભ ગ્રન્થ:- 

૧) રણયજ્ઞ - સંપાદક: ચંદ્રશંકર ભટ્ટ, પૂર્ણિમા ભટ્ટ 

૨) મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 


 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ