Recents in Beach

આદિવાસી લોક્વાર્તાઓના લક્ષણોને ધ્યાનમાં લઇ દક્ષિણ ગુજરાતની ચૌધરી લોક વાર્તાઓની મુલવણી

 

આદિવાસી લોક્વાર્તાઓના લક્ષણોને ધ્યાનમાં લઇ દક્ષિણ ગુજરાતની ચૌધરી લોક વાર્તાઓની મુલવણી

Aadivasi look- vaartaona lakshnone dhyanma lai dakshin gujaratni chodhari look vaartaoni mulavni 


પ્રાસ્તાવિક:-

  દક્ષિણ ગુજરાતની ચૌધરી લોકવાર્તાઓનું સંશોધન સંપાદન રોશન પી. ચોધરીએ કર્યું છે. આદિવાસી લોક્વાર્તાઓના કેટલાંક લક્ષણો છે એ લક્ષણોને ધ્યાનમાં લઇ દક્ષિણ ગુજરાતની ચૌધરી લોક વાર્તાઓને મૂલવવાનો પ્રયાસ છે. આદિવાસીઓ પ્રકૃતિની ગોદમાં રહેનારા છે. પ્રકૃતિ એમને પરમાત્મા છે. પ્રકૃતિના તત્ત્વો એમને જીવાદોરી છે. આ તત્ત્વો આદિવાસીઓને પરમ આનંદની અનુભૂતિ કરાવે છે. એમનું જીવન પણ પ્રકૃતિ જેટલું સીધું-સાદું હોય છે. ખોરાક અને રહેણી-કરણીમાં પ્રકૃતિના અંશો સચવાયેલા હોય છે. એમનું જીવન સીધું-સાદું છે. તેઓ ખુબ ભોળા અને સજ્જન હોય છે. આ બધી પરિસ્થિતિઓને લીધે તેઓ બીજા બધાથી અલગ છે.


૧) મોખીક પરંપરા :-

દક્ષિણ ગુજરાતની ચૌધરી લોકવાર્તાઓનું ભાવન કરતા જણાયું કે આ બધી વાર્તાઓ મોખિક છે. એનું લિખિત સ્વરૂપ નથી. દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જુદા જુદા ચોધરી સજ્જનોના મુખમાં આ બધી વાર્તાઓ મોખિક રૂપે આજે પણ સચવાયેલી રહી છે. આ રીતે જોઈએ તો આદિવાસી વાર્તાઓ પ્રમુખત: મોખિક છે.  મોખીક પરંપરામાં સચવાયેલી આ બધી વાર્તાઓ ચૌધરી સમાજની વિરાસત છે. આ વિરાસત નાશ પામે એ પહેલાં એનું દસ્તાવેજી કરણ થાય એ માટે રોશન ચૌધરી જેવા સંશોધક સંપાદક પ્રયત્નશીલ છે. ઠેક્લાવાલો ગોવાળ, બાંડો વાંદર, હાત ફાહાને એક બેહકી, દેવઅ ને નીચકી, હનાણાલીબાલા વાલો ગોવાલ, નીચકે ને રાખ્ખાહા, ખદાયળો, ડાંડ અને બાંડ જેવી લોક-વાર્તાઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જેવાં કે વાઘનેરા, અલગઢ, સાંકળી, ઉમરવાવદર, બોર કચ્છ, દામોદ્લા, જૂની જામુનીના રહેવાસી એવા ચૌધરીઓના મુખમાં સચવાયેલી છે.


૨) મૂળ ભાષા લઢણ:-

   આ બધી વાર્તાઓની બોલી ચોધરી છે. ચૌધરી બોલીમાં ચોધરી વાર્તાઓ મોખીક રીતે સચવાયેલી છે. ચૌધરી માતૃભાષા વ્યાકરણની દૃષ્ટિએ સમૃદ્ધ છે. જેમાં ગુજરાતી ભાગના ‘છ’, ‘શ’, ‘ષ’, ‘ઝ’ નું મોટે ભાગે ‘સ’ જ ઉચ્ચારણ થાય છે. ચોધરી લોક્વાર્તાઓમાં ‘છ’, ‘શ’, ‘ષ’, ‘ઝ’ જેવાં ગુજરાતી શબ્દોને સ્થાને ‘સ’નું જ ઉચ્ચારણ થયેલું જોવા મળે છે.


૩) જન સામાન્ય દ્વારા વાર્તા કથન:-

  ચૌધરી લોક વાર્તાઓના જે કથકો છે એ તદન સામાન્ય છે એમની પાસે ક્યારેક તો અક્ષરજ્ઞાન પણ હોતું નથી. એવા સામાન્ય લોકોના મુખમાં આ બધી વાર્તાઓ સચવાયેલી છે. આ બધા વાર્તા કથકોનું જીવન પણ સામાન્ય છે. આથી સામાન્ય બોલ ચાલની ભાવના શબ્દોનો વિનિયોગ આ બધી વાર્તાઓમાં થયેલો જોઈ શકાય છે. જન સામાન્યમાં પ્રચલિત કેટલીક માન્યતાઓ, રૂઢિઓ, અંધ શ્રદ્ધાઓ, વહેમ જેવા તત્ત્વોનું આલેખન પણ આ બધી વાર્તાઓમાં થયેલું જોવા મળે છે. આ બધી વાર્તાઓમાં વિશિષ્ટ ભાગ કે શેલી જોવા ન મળે એ સ્વાભાવિક છે. આ બધી લોકવાર્તાઓમાં મોટે ભાગે જન સામાન્ય એવાં ખેડૂત, ગોવાળ, ભિખારી, મજુરવર્ગની વાતો જ આવી. વાર્તાઓના પાત્રો પણ તદન જન સામાન્ય એવા એવાં વ્યક્તિઓ જ હોય છે.


૪) અનામી :-

  આદિવાસી લોક વાર્તાઓનો રચયિતા કોણ? એ જાણી ન શકાય. એ બધા સર્જકો અનામી છે. પરંપરાગત રીતે એક પછી એક આદિવાસીઓ આ વાર્તાઓને મોખિક રીતે એક બીજા સમક્ષ વ્યક્ત કરતાં રહે છે. વાર્તા કથક જેમ બદલાતાં રહે તેમ વાર્તા કથનમાં પણ ફેરફારો થતાં રહે છે. ટૂંકી વાર્તાના સર્જકનો પરિચય ભાવકને મળી રહે પણ આદિવાસી લોક વાર્તાનો સર્જક અનામી હોવાથી ભાવક એને સમજવામાં અસમર્થ રહે છે. લોક જીભે કે વાર્તાકથકની જીભે આ બધી લોકવાર્તાઓ રમતી રહે છે.


૫) અજ્ઞાત કર્તુત્વ :-

  આદિવાસી લોકવાર્તાઓ કર્તા કોણ ? ચૌધરી બોલીની લોકવાર્તાનો કર્તા કોણ ? એ ન જાણી શકાય. આ બધી વાર્તાઓનો કર્તા અજ્ઞાત છે. પરંપરાગત રીતે આ બધી વાર્તાઓ લોક જીભે રમતી રહે છે. આ બધી લોક વાર્તા કોણે સર્જિ હશે? એ જાણી શકાતું નથી. એક પછી એક કથક દ્વારા આ બધી વાર્તાઓ સમાજમાં મોખિક રીતે કહેવાતી રહે છે.


૬) સંક્ષિપ્ત-સહજ-સરળતા:-

  ચૌધરી લોકવાર્તાઓ મોટે ભાગે સંક્ષિપ્ત જે કોઈક જ વાર્તામાં થોડું લંબાણ થયું છે. મોખિક પરંપરાની વાર્તાઓ હોવાથી એમાં લંબાણને અવકાશ રહેતો નથી. વળી આદિવાસીઓ કામનાં ભારથી થાકેલા મનને થોડો આનંદ મળે એ માટે આ બધી લોકવાર્તાઓ સાંભળતા આથી પણ સંક્ષિપ્તતાનો ગુણ અનિવાર્ય બની રહે છે. આ બધી વાર્તાઓ સહ જ છે. આમેય આદિવાસીઓનું જીવન સહજતાથી ભરેલું હોય છે. એમાં કપટલીલાને સ્થાન નથી. ચૌધરી લોકવાર્તાઓમાં પણ આ સહજતાનો ગુણ જોવા મળે છે. સરળતા એ પણ આ બધી વાર્તાઓનું આગવું લક્ષણ બની રહે છે.


૭) હુંકાર :-

  આદિવાસીઓ કામના બોજ નીચે દબાયેલા રહે છે. મહેનત કરવી એ એમનો જીવન ક્રમ છે. આવા મહેનત કરી આદિવાસીઓ મનોરંજન માટે, આનંદ માટે આ બધી મોખિક પરંપરાની વાર્તાઓ જન સમૂહ સમક્ષ રજુ થતી રહે છે. વાર્તા કથક વાર્તાની માંડણી કરે ત્યારે એનો સમર્થન માટે ભાવક પક્ષેથી પણ ‘હં’, ‘હા’, ‘હોવે’, હેંઅ’ જેવા હુંકારા કરવામાં આવતાં હોય છે. વાર્તા કથાકને પણ ખબર પડે છે કે ભાવકો એની વાર્તાનો આસ્વાદ માણી રહ્યાં છે. લોકવાર્તાનું આ અનિવાર્ય લક્ષણ બની રહે છે. લોકવાર્તા વાંચવાની પ્રક્રિયા નથી. સાંભળવાની કહેવાની પ્રક્રિયા હોવાથી હુંકારો મહત્ત્વનું બની રહે છે.


૮) કથ્ય-ગેય-ઢાળ-લય-કથન શેલી:-

   આદિવાસી લોકવાર્તાઓ મોખિક પરંપરા સાથે જોડાયેલી છે. આ બધી લોક્વાર્તાઓનો કોઈક ને કોઈક કથક હોય છે. એ એની શેલી,લય દ્વારા વાર્તાઓ કહેતો હોય છે. ક્યારેક આ કથક વચ્ચે વચ્ચે વાર્તાઓને અમુક ઢાળમાં ઢાળતો હોય છે. આ બધી વાર્તાઓ ગેય સ્વરૂપે પણ હોય છે. વચ્ચે ચ્ચે પંક્તિઓને રાગમાં ઢાળીને વાર્તાને રસપ્રદ બનાવે છે. આમ પણ સંગીત તો આદિવાસીઓના જીવન સાથે વણાઈ જ ગયું હોય છે. સુખ કે દુઃખમાં સંગીત એમની સાથે જ રહે છે. ચૌધરી વાર્તાઓમાં આ બધું જોવા મળ્યું.


૯) પ્રાદેશીક્તાનો પ્રભાવ :-

  આદિવાસીઓ મોટે ભાગે ડુંગરોની વચ્ચે, નદી કિનારે, જંગલમાં જાનવરોની વચ્ચે વનરાજીની હારમાળાઓમાં રહેનારા લોકો છે. પ્રકૃતિ જ એનું જીવન છે. પ્રકૃતિ સાથે તાલ મેલ સાધીને એ રહેતો હોય છે. જેવું એમનું જીવન સીધું-સાદું છે તેથી જ એમની રહેણી-કરણી છે. પોશાક,ખોરાક,વ્યવહારમાં એક પ્રકારની પ્રાદેશિકતા જોવા મળે છે. એમનો ખોરાક, એમની રહેણી-કરણી તદન પ્રાદેશિક હોય છે. એને પરિણામે એમની બોલીમાં પણ પ્રાદેશિકતા વ્યાપી ગયેલી હોય છે. આદિવાસીઓ મોટે ભાગે બધાને ‘તુંકાર’થી જ બોલાવતાં હોય છે. વચ્ચે વચ્ચે ક્યારેક ગાળનો ઉપયોગ પણ કરી લેતા હોય છે. એમને મન આ બધું સ્વાભાવિક છે. આથી શિષ્ટ સમાજના લોકોને આ બધી વાર્તાઓનો આસ્વાદ ન ગમે એ સ્વાભાવિક છે. વાર્તાઓમાં ભૂત-પ્રેત, અંધશ્રધા, વહેમ, ચમત્કાર જેવા તત્ત્વો પણ આ પ્રદેશીક્તાને ઉજાગર કરે છે.


૧૦) સંસ્કૃતિનું પ્રતિબિંબ :-

   ચૌધરી લોક્વાર્તોમાથી પસાર થતાં આદિવાસી સંસ્કૃતિનો પરિચય થાય છે. આ પ્રજામાં શિક્ષણનો અભાવ છે. મહેનતનો પ્રભાવ છે. ભૂત-પ્રેત, પરિશ્રમ, અંધશ્રધા, વહેમ, માન્યતાઓ એમના જીવનમાં વણાઈ ગયેલી છે. કામના થાકને ઉતારવા એઓ વ્યસની બને છે. આ વ્યસનની આડ અસર જીવનમાં અનુભવતી નથી. મહેનત કરીને જ ખાવાનું હોવાથી લડાઈ-ઝગડા, ઈર્ષા, અદેખાઈ જેવા તત્ત્વોની બાદબાકી થયેલી જોવા મળે છે. ભાઈચારો, સુમેળ, મદદ કરવાની ભાવના એમની નસમાં વ્યાપેલાં હોય છે. આ ચૌધરી લોક્વાર્તાઓમાંથી પસાર થતાં આદિવાસી સંસ્કૃતિનો પરિચય થવા વગર રહેતો નથી.



❤👉ડૉ.ભગવાનદાસ પટેલનું લોક સાહિત્ય ક્ષેત્રે પ્રદાન Clik Her

તમને ઉપરની વાતો પસંદ આવે તો તમારા મિત્રો જોડે શેયર જરૂર કરજો અને કોમેન્ટ કરીને અમને જણાવજો 

   

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ